Friday, 14 September 2012

મસ્કતના મુસ્લિમ શાશકોએ પૌરાણિક હનુમાનજીના મંદિરને એ.સી.વાળુ બનાવ્યું ભૂમાપુરાથી કેમ્પના હનુમાન મંદિરો પ્રચલિત...

ઇન્ટરનેશનલ ગૉડની જેને ઉપમા આપવામાં આવી છે તેવા ભગવાન હનુમાનની જન્મ જયંતિ ચૈત્ર સુદ પૂનમને શુક્રવારે મનાવાશે. જ્યારે હનુમાનની વાત આવે ત્યારે સાળંગપુરના (ધંઘુકા) કષ્ટભંજન હનુમાનને અચૂક યાદ કરવા પડે છે. માત્ર ભારતભરમાં જ નહિ પણ વિશ્વભરમાં વસતા ગુજરાતી અને હિન્દી ભાષી પરિવારોમાં સાળંગપુર હનુમાનની પૂજા- અર્ચન થાય છે. હરિભક્તોના કષ્ટોને દૂર કરવા અને હરિભક્તોની માગણી લાગણીને અનુસરીને કષ્ટભંજન હનુમાનની સ્થાપના વિક્રમ સંવત ૧૯૦૫માં આસો વદ પાંચમે ગોપાલાનંદ સ્વામીએ કરી હતી. પોતાને શરણે આવેલાનું સકંટ દૂર કરતા કષ્ટભંજન હનુમાનના દર્શને વિદેશથી પણ ભક્તો આવે છે. દરેકની મનોકામના પૂર્ણ કરતા કષ્ટભંજન હનુમાનના દર્શને સામાન્ય દિવસોએ ૧૮થી ૨૦ હજાર લોકો આવે છે જ્યારે શનિવારે અને પૂનમે તો આ સંખ્યા પાંચ ગણી થઈ જાય છે. જ્યારે હનુમાન જયંતિ અને કાળી ચૌદશના દિવસોએ તો અહીં લાખો દર્શનાર્થીઓ ઉમટે છે.
કહેવાતી મેલી વસ્તુઓ અને ભૂતપ્રેતના વળગાડથી અશર પામેલાઓ માટે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનનું સ્થળ એક ધાર્મિક હોસ્પિટલ સમાન છે. કેટલીક અગમ્ય વસ્તુઓથી પીડાતા લોકોનું આ આશ્રયસ્થાન બની ગયું છે. મેલી વસ્તુઓથી અસર પામેલા ૨૦થી ૨૫ લોકો અહીં રોજ આવે છે. રોજ સવારે ૮થી ૧૦ અને સાંજે ૪થી ૬ તેમને દોરો બાંધીને કષ્ટભંજન હનુમાનની સતત હાજરીનો અહેસાસ કરાવવામાં આવે છે.
સાળંગપુર હનુમાનના મંદિરે દર્શને જનારને ખબર હશે કે અહીં ઘૂણતા અને ચીસો પાડતા લોકો નજરે પડે છે. તેમના શરીરમાં રહેલી મેલી વસ્તુઓ ભગવાન હનુમાનજીનો તાપ સહન કરી શકતી નથી એટલે શરીર છોડવા તે ચીસો પાડેેે છે અંતે તે શરીરને મુક્ત કરે છે.
ઘણાં રાજકારણીઓ હાથે કષ્ટભંજન હનુમાનજી મંદિરની પવિત્ર એવી કાળા નાડાછડી (દોરો) બાંધતા હોય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો હનુમાનપ્રેમી ભક્ત હોય છે. કાળી ચૌદશ અને હનુમાન જયંતિએ સાળંગપુર ખાતે થતા યજ્ઞોમાં વેપારીઓ, રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને માનસિક શાંતિ મેળવવા આવનાર સહિતના લોકો હોય છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે અમે ભક્તોની સહાય અર્થે અનેક સેવાકીય યજ્ઞો પણ કરીએ છીએ. ગુજરાતમાં કોઈપણ નાના મોટા ગામ કે ટાઉન લેવલ કે શહેરમાં નજર કરશો તો સૌથી વધારે હનુમાનજીના મંદિરો છે, દરેક મંદિરોમાં પણ હનુમાનદાદાની સ્થાપના કરવામાં આવી હોય છે. કહે છે કે કળિયુગના આ જીવતા દેવ છે તેમની ચુસ્તપણે ભક્તિ કરનારને અનેક મુસીબતોમાંથી તે મુક્ત કરે છે. અહીં એ પણ મહત્ત્વનું છે કે હનુમાનજીના તમામ મંદિરો તેમના ચમત્કારના કારણે જ ઓળખાયેલા છે. હનુમાનજીના મંદિરો મોટા ભાગે પૌરાણિક હોય છે.
અમરેલીના સોનગઢ નજીકનું ભૂરખીયા હનુમાનજી, સુરતમાં ક્ષેત્રપાળ હનુમાન, સુરત- કડોદરા ચારરસ્તા પાસેનું અગિયારમુખી હનુમાનજી, નવસારીનું વીરવાડી હનુમાન (શિવાજી મહારાજ જ્યારે યુદ્ધ કરવા માટે જતા ત્યારે અહીં દર્શન કરીને જતા હતા.), અમદાવાદ નજીક ભૂમાપુરા હનુમાન અને અમદાવાદ કેમ્પનું હનુમાન ભક્તજનોમાં પ્રિય છે. વિદેશમાં પણ હનુમાનદાદાના મંદિરને વિશેષ પ્રાધાન્ય અપાય છે. મુસ્લિમ દેશ મસ્કતમાં હનુમાનજી મંદિરને ત્યાંના શાસકોએ એ.સી.વાળું બનાવી દીઘું છે. આ પૌરાણિક મંદિરમાં માળા અને નાળિયેર મુસ્લિમ પરિવારના લોકો આવે છે. મસ્કતના આ હનુમાનજી મંદિરની વિશેષતા એ છે કે અહીં દાદાને અડદના વડાની માળા ચઢાવવામાં આવે છે. મસ્કતના શાસકો માને છે કે તેમના દેશની સમૃદ્ધિમાં દાદાનો ફાળો છે.
હનુમાનજીની ભક્તિ સાથે જણાવેલા લોકો માને છે કે ભક્ત જ્યારે મનમાની કરે છે અને લોકોને પરેશાન કરવાની વૃત્તિ રાખે છે ત્યારે હનુમાનદાદા તેને ગદાથી ફટકારવાનું પણ ચૂકતા નથી. હનુમાન દાદાની ભક્તિ બહેનો કરી શકે નહિ એવી વિચિત્ર માન્યતા અંગે પ્રાતઃસ્મરણીય રામકથાકાર પૂ. મોરારીબાપુ સ્પષ્ટ કહે છે કે બહેનો હનુમાનદાદાની ભક્તિ ના કરી શકે એવું કહેનારને તો હું ક્યારનો ય શોઘું એને પકડી લાવો મારી પાસે, હકીકત એ છે કે બહેનો પણ શ્રદ્ધાપૂર્વક હનુમાનદાદાને ભજી શકે છે.
સાળંગપુર હનુમાનમાં અપાર શ્રદ્ધા રાખતા મારા એક મિત્રએ જણાવ્યું હતું કે, સાળંગપુરના કષ્ટભંજન હનુમાનની વિશેષ ખાસિયત શું છે ? ખબર છે સાળંગપુરના હનુમાન દાદા પાસે કોઈની લાગવગ નથી ચાલતી, તમામને સમાન ગણવામાં આવે છે અને તેમના કર્મ અને શ્રદ્ધા પ્રમાણે દાદાની કૃપા વરસતી રહે છે...

No comments:

Post a Comment