Wednesday, 12 September 2012

જાણો ભોળાનાથનું એક રહસ્ય, બાદમાં તેઓ કહેવાયા નીલકંઠ!

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ભગવાન ભોળાનાથના અનેક કલ્યાણકારી રૂપ અને નામનો મહિમા બતાવાયો છે. ભગવાન શિવે માથા પર ચંદ્રમાને ધારણ કર્યા તો શશિધરના નામથી ઓળખવામાં આવ્યા. પતિત પાવની માતા ગંગાને પોતાની જટામાં ધારણ કરી તો ગંગાધર કહેવાયા. ભૂતોનાં સ્વામી હોવાથી તેમનું એક નામ છે ભૂતનાથ. શું તમને ખબર છે કે ભગવાન ભોળાનાથને નીલકંઠ શા માટે કહેવામાં આવે છે. જો નહીં તો અમે તમને જણાવી દઈએ છીએ.

 એકવાર ભગવાન વિષ્ણુએ દેવતાઓને દાનવો સાથે દોસ્તી કરીને તેની સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે જણાવ્યું. તેમને સમુદ્રની ઊંડાઈમાં છૂપાયેલા અમૃતનાં કળશ અને મણિ રત્નો વિશે જણાવ્યું કે તેને મેળવવાથી તેઓ તમામ વૈભવશાળી થઈ જશે. ભગવાન વિષ્ણુના કહેવાથી ઈન્દ્ર સહિત તમામ દેવતા દૈત્યરાજ બલિની પાસે સંધિનો પ્રસ્તાવ લઈને ગયા અને તેમને અમૃત વિશે જણાવ્યું. આ તમામ સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા

સમુદ્ર મંથન માટે સમુદ્રમાં મંદરાચલને સ્થાપિત કરી વાસુકિ નાગને રસ્સી બનાવાયા. બાદમાં બંને પક્ષોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવા લાગ્યા. અમૃત પામવાની ઈચ્છાથી તમામ પૂરી તાકાત અને જોશથી મંથન કરી રહ્યા હતા. અચાનક દરિયામાંથી કાલકૂટ નામનું ભયંકર વિષ નીકળ્યું . આ વિષની અસરથી ચારેય દિશાઓ સળગવા લાગી. સમસ્ત પ્રાણીઓમાં હાહાકાર મચી જવા પામ્યો. દેવતાઓ અને   દૈત્યો સહિત ઋષિ, મુનિ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ વગેરે  આ વિષની ગરમીથી તપવા લાગ્યા. 

દેવોની પ્રાર્થના પર ભગવાન ભોળાનાથ વિષપાન માટે તૈયાર થઈ ગયા. તેમને ભયંકર વિષને હથેળીમાં ભરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પી લીધું. આ વિષને ભગવાન ભોળાનાછે કંઠમાં રોકી લીધું અને  તેની અસરને સમાપ્ત કરી દીધી. વિષને લીધે ભગવાન શિવનો કંઠ નીલો (આકાશી રંગનો) થઈ ગયા અને તેઓ સમગ્ર સંસારમાં નીલકંઠના નામથી પ્રસિદ્ધ થયા.

એવું કહેવાય છે કે જે સમયે ભોળાનાથ વિષપાન કરી રહ્યા હતા, તે સમયે ઝેરનાં કેટલાક ટીપાં નીચે પડ્યાં  હતાં જેને સાપ, વીંછી વગેરે જીવો તેમજ કેટલીક વનસ્પતિઓએ ગ્રહણ કરી લીધું હતું. આ ઝેરના લીધે તેઓ અતિ ઝેરી થઈ ગયા. ઝેરનો પ્રભાવ સમાપ્ત થતા તમામ દેવગણ ભગવાન શિવનો જય-જયકાર કરવા લાગ્યા.

No comments:

Post a Comment